Skip to content

Search

Latest Stories

વ્હાઇટ હાઉસ દ્વારા ભારત-યુએસ વેપાર ફેક્ટશીટમાં સુધારો

$500 બિલિયનની ખરીદીને 'પ્રતિબદ્ધતા' ને બદલે 'ઈરાદા' તરીકે દર્શાવવામાં આવી

વ્હાઇટ હાઉસ દ્વારા ભારત-યુએસ વેપાર ફેક્ટશીટમાં સુધારો

વ્હાઇટ હાઉસે ભારત-યુએસ વેપાર માળખા પરની ફેક્ટશીટમાં સુધારો કર્યો છે, જેમાં ભારતની $500 બિલિયનની ખરીદી યોજનાને "પ્રતિબદ્ધતા" (Commitment) માંથી ખસેડીને "ઈરાદો" (Intent) તરીકે દર્શાવવામાં આવી છે.

Reuters

વ્હાઇટ હાઉસે તેની ભારત-યુએસ વેપાર માળખા (Trade Framework) પરની ફેક્ટશીટ બહાર પાડ્યાના માત્ર એક જ દિવસમાં તેને અપડેટ કરી છે. આ સુધારામાં ભારત દ્વારા ખરીદી, ટેરિફ અને ડિજિટલ વેપાર અંગેની કેટલીક મહત્વની બાબતોમાં નરમાશ લાવવામાં આવી છે.

મૂળ દસ્તાવેજમાં જણાવાયું હતું કે ભારત $500 બિલિયનથી વધુની યુએસ પ્રોડક્ટ્સ ખરીદવા માટે "પ્રતિબદ્ધ" છે, પરંતુ સુધારેલા સંસ્કરણમાં હવે જણાવાયું છે કે ભારત તેમ કરવાનો માત્ર "ઈરાદો" ધરાવે છે.


ANI ના અહેવાલ મુજબ, આ ફેરફારો ગયા અઠવાડીએ જાહેર કરાયેલ વચગાળાના પરસ્પર વેપાર કરારના માળખાને અનુસરીને કરવામાં આવ્યા છે, જેનો ઉદ્દેશ્ય દ્વિપક્ષીય વાણિજ્યને વેગ આપવાનો છે. આ કરાર ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની વાતચીતનું પરિણામ છે.

'ધ ઇકોનોમિક ટાઇમ્સ' અનુસાર, ટ્રમ્પે ભારત પરના 25 ટકાના પરસ્પર ટેરિફને ઘટાડીને 18 ટકા કર્યો છે. નવી દિલ્હી દ્વારા રશિયન તેલની આયાત બંધ કરવાના નિર્ણય બાદ તેમણે ભારતીય માલસામાન પરનો 25 ટકા ટેરિફ પણ હટાવી દીધો હતો.

ઇન્ડિયા ટીવી ન્યૂઝના જણાવ્યા અનુસાર, વિદેશ મંત્રાલયે (MEA) ગુરુવારે સ્પષ્ટતા કરી હતી કે યુએસ ફેક્ટશીટમાં તાજેતરના સુધારાઓ બંને પક્ષો વચ્ચેની "સમાન સમજણ" (Shared Understandings) ને પ્રતિબિંબિત કરે છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, “સંયુક્ત નિવેદન એ માળખું છે અને આ બાબતે અમારી પરસ્પર સમજણનો આધાર છે. બંને પક્ષો હવે આ માળખાના અમલીકરણ અને વચગાળાના કરારને અંતિમ સ્વરૂપ આપવા તરફ કામ કરશે.”

કૃષિ અને ડિજિટલ ક્ષેત્રે સુધારા

ટેરિફ વિભાગમાં વધુ ફેરફારો કરવામાં આવ્યા હતા, જેમાં અગાઉ નોંધવામાં આવ્યું હતું કે ભારત કઠોળ સહિત યુએસ ખાદ્ય અને કૃષિ પેદાશોની વિશાળ શ્રેણી પર ટેરિફ ઘટાડશે અથવા નાબૂદ કરશે. સુધારેલા સંસ્કરણમાં ટેરિફ ઘટાડાને પાત્ર વસ્તુઓની યાદીમાંથી "ચોક્કસ કઠોળ" (Certain pulses) નો સંદર્ભ હટાવી દેવામાં આવ્યો છે.

ડિજિટલ ટ્રેડના મોરચે, "ભારત તેના ડિજિટલ સેવા વેરા (Digital Services Taxes) હટાવશે" તેવો પ્રારંભિક દાવો પણ પડતો મૂકવામાં આવ્યો છે. દસ્તાવેજમાં હવે માત્ર એટલું જ જણાવાયું છે કે ભારત દ્વિપક્ષીય ડિજિટલ વેપાર નિયમોના મજબૂત સેટ પર વાટાઘાટો કરવા માટે પ્રતિબદ્ધ છે.

અલગથી, રોઇટર્સે અહેવાલ આપ્યો છે કે પાંચ વર્ષમાં $500 બિલિયનના યુએસ સામાન ખરીદવાની ભારતની યોજના ખરીદી પ્રક્રિયાને અસર કરી શકે છે અને નવી દિલ્હીના વેપાર સંતુલનને નવું સ્વરૂપ આપી શકે છે. વેપાર નિષ્ણાતો અને અર્થશાસ્ત્રીઓએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું કંપનીઓને યુએસ સપ્લાયર્સ તરફ વાળતી નીતિઓ વગર વાર્ષિક $100 બિલિયનની આયાત શક્ય છે.

More for you