![ENEWS-COVID-07-05-21-IHG-lawsuit-folo-696x348](https://www.asianhospitality.com/wp-content/uploads/sites/1/2021/07/ENEWS-COVID-07-05-21-IHG-lawsuit-folo-696x348-1.jpg)
ઈન્ટરકોન્ટિનેન્ટલ હોટેલ્સ ગ્રુપ સામે તાજેતરમાં દાખલ કરવામાં આવેલા દાવામાં પાંચમા વાદી પણ જોડાયા છે. તાજેતરનો દાવો પેન્સિલવેનિયા ખાતે દાખલ કરવામાં આવ્યો છે. ફ્રેન્ચાઇઝીસને પસંદગીના વિક્રેતાઓ પાસેથી જ સેવા-સાધનની ખરીદી કરવા માટે ફરજ પડાતી હોવાનો આક્ષેપ આ દાવામાં કરવામાં આવ્યો છે. આ બાબતની આહોઆ દ્વારા પણ નોંધ લેવામાં આવી છે.
કંપની સામે દાખલ કરવામાં આવેલ તાજેતરનો છેલ્લો દાવો બેનસાલેમ લોજિંગ એસોસિએશન એલએલસી, બેનસાલેમ, પેન્સિલવેનિયા દ્વારા દાખલ કરાયો છે. અગાઉ કંપની સામે ટેક્સાસ, લુઇસિયાના, કનેક્ટિકટ અને ઓહાઇઓ ખાતે દાવો કરવામાં આવ્યો છે. દરેક દાવામાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આઈએચજી દ્વારા તેની ફ્રેન્ચાઇઝીસને પસંદગીના વિક્રેતા-વેપારીઓ પાસેથી જ ખરીદી કરવા તથા તેમની સેવા લેવા ફરજ પાડવામાં આવે છે. ફ્રેન્ચાઇઝીસને આ જ ખરીદી કે સેવા ખુલ્લામાં બજારમાં અન્ય પાસેથી સસ્તા ભાવે મળી રહેતી હોવા છતાં તે લેવા દેવામાં આવતી નથી.
આ બાબતે આઈએચજી દ્વારા જણાવાયું છે કે વિક્રેતાઓની યાદી આઈએચજી માર્કેટપ્લેસ દ્વારા નક્કી થઇ છે અને તે ફ્રેન્ચાઇઝીસને ગ્રુપ ડિસ્કાઉન્ટ તથા વસ્તુની ગુણવત્તા તથા સેવાની ખાતરી આપે છે. જ્યારે દાવામાં કરવામાં આવેલ આક્ષેપ અનુસાર પોતાની મનમાની કરીને પોતાનો નિર્ણય ફ્રેન્ચાઇઝીસ પર દબાણપૂર્વક અમલ કરાવવા માંગે છે.
બદલાની ભાવના
બેનસાલેમ મુકદ્દમો અન્ય મુકદ્દમા કરતાં જુદો છે તેમ ઓલ્ડ બ્રિજ, ન્યૂજર્સી ખાતેની જીએચએમ પ્રોપર્ટીઝના રીચ ગાંધીએ જણાવ્યું હતું. તેઓ બેનસાલેમ લોજિંગ એસોસિએટ્સમાં ભાગીદાર પણ છે.
તેમણે જણાવ્યું હતું કે અમે મુકદ્દામાં બદલાની ભાવનાવાળા કૃત્ય અંગે વધારે વિસ્તારપૂર્વક જણાવ્યું છે. તેઓ ફ્રેન્ચાઇઝીસના એડવોકેસી ગ્રુપ રીફોર્મ લોજિંગના ચેરમેન અને કો-ફાઉન્ડર પણ છે.
તેમણે આ બાબતે એક ઉદાહરણ આપીને જણાવ્યું હતું કે બે વર્ષ અગાઉ મારા એક મિત્રનો આઈએચજી દ્વારા કેન્ડલવૂડ સ્યુટ્સના ડેવલપ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. મિત્રે પેપરવર્ક જમા કરાવવાની સાથે જરૂરી ફી પણ ભરી દીધી હતી. જોકે અંતમાં તેનું લાયસન્સ નકારી દેવામાં આવ્યું.
“આઈએચજી સિનિયર એડવાઇઝરી કમીટી સભ્યોમાંથી કોઇ એકે સંપર્ક કર્યો અને જણાવ્યું કે આઈએચજી સાથેના તમારા અગાઉના વ્યવહારને ધ્યાનમાં રાખીને અમે તમને મંજૂરી આપી શકીએ તેમ નથી.” ગાંધીએ જણાવ્યું અને ઉમેર્યું કે એ મિત્રને આઇએચજી સાથે ભૂતકાળમાં કોઇ મુદ્દે ટકરાવ થયો અને તેને ધ્યાનમાં રાખીને હવે તેને લાયસન્સ આપવાની ના પાડી દેવામાં આવી.
સંપર્કમાં ઘટાડો
આ દાવામાં સામેલ વાદીઓમાંથી મોટાભાગના આહોઆના સભ્યો છે અને તેમણે એસોસિએશનને પણ મદદ કરવા માટે સંપર્ક કર્યો છે. આહોઆ દ્વારા સભ્યોના હિતના રક્ષણ માટે ખાતરી આપવામાં આવી હોવાનું એસોસિએશનના વચગાળાના ચેરમેન અને સીઈઓ કેન ગ્રીનીએ જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે સંગઠન દ્વારા પોતાના સભ્યોના હિતમાં આ સમગ્ર બાબતનો અભ્યાસ કરીને યોગ્ય સમયે તે અંગે પગલાં લેવા માટે સંબંધિતોને રજુઆત કરવામાં આવી શકે તેમ છે.