સોનેસ્ટા સાથે આરએલએચ કોર્પ.નું 90 મિલિયન ડોલરના સોદામાં વિલીનીકરણ

નાઇટ ઈનના માલિકોનું માનવું છે કે મંદીના સમયે આ વિલીનીકરણથી કંપનીની કામગીરી મજબૂત બનશે

0
1189
રેડ લાયન હોટેલ્સ, ગેસ્ટહાઉસ અને નાઇટસ ઈનની પેરેન્ટ કંપની આરએલએચ સોનેસ્ટા ઈન્ટરનેશનલ હોટેલ્સ સાથે વિલીનીકરણ માટે રાજી થઇ છે. આ સોદો 90 મિલિયન ડોલરનો છે. સમગ્ર સોદો 2021ના પ્રથમ છ મહિનામાં પૂર્ણ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

જાણીતી હોટેલ કંપની આરએલએચ કોર્પ. કે જે રેડ લાયન હોટેલ્સ, ગેસ્ટહાઉસ અને નાઇટ્સ ઈન સહિતની અનેક હોટેલ્સની પેરેન્ટ કંપની છે તેણે સોનેસ્ટા ઈન્ટરનેશનલ હોટેલ્સ સાથે 90 મિલિયન ડોલરના સોદોના ભાગરૂપે વિલીનીકરણ માટે તૈયાર દર્શાવી છે. આ સમગ્ર સોદો વર્તમાન સાલ 2021ના પ્રથમ છ મહિના સુધીમાં પૂર્ણ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કંપનીના જણાવ્યા અનુસાર વર્તમાન સમયે કોવિડ-19 મહામારી દરમિયાન આ સોદો મંદીવાળા અર્થતંત્રમાં કંપનીને ગતિ આપશે.

આરએલએચ કોર્પ.ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા આ વિલીનીકરણ માટે મંજૂરી આપી દેવામાં આવી છે. જોકે કંપનીના શેરહોલ્ડરો દ્વારા આગામી સમયે યોજાનાર એક ખાસ સભામાં આ વિલીનીકરણ અંગે મતદાન કરવામાં આવશે. સભાની તારીખ જાહેર થઇ નથી. વિલીનીકરણ માટેની શરતો અનુસાર આરએલએચના કોમન સ્ટોક હોલ્ડરોને પ્રતિ શેર 3.50 ડોલરની રકમ રોકડમાં મળશે, અને આરએલએચના ટ્રેડિંગની છેલ્લી તારીખ 4થી નવેમ્બરે શેરના બંધ ભાવની સ્થિતિએ 88 ટકા પ્રીમિયમ મળશે.

સોદો જાહેર થયો ત્યાંથી લઇને 30મી ડિસેમ્બર સુધી ક્લોઝિંગ પ્રાઇઝ પર 30 ટકા પ્રીમિયમ મળી રહ્યું હતું. આ સોદા પછી આરએલએચ કોર્પ. ખાનગી માલિકીની કંપની બની જશે અને તેનો શેર સામાન્ય શેર ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ નહીં રહી શકે.

આ સોદા બાબતે આરએલએચ કોર્પ.ના બોર્ડ ચેરમેન આર. કાર્ટર પેટે જણાવ્યું હતું કે વ્યૂહાત્મક રીતે તથા વૈકલ્પિક રીતે અનેક ગંભીરતાથી લાંબી વિચારણા બાદ બોર્ડમાં આ સોદા માટે સમજૂતિ સધાઈ હતી અને રેડ લાયનના તમામ શેરધારકો માટેના સર્વાંગી હિત માટે આ સોદોને મંજૂરી આપવામાં આવી હતી.

આરએલએચ કોર્પ. ફ્રેન્ચાઇઝીસમાં આઠ બ્રાન્ડ ધરાવે છે, જેમાં હોટેલ આરએલ, રેડ લાયન્સ હોટેલ્સ, રેડ લાયન ઈન એન્ડ સ્યૂટ્સ, સિગ્નેચર ઈન, અમેરિકાસ બેસ્ટ વેલ્યુ ઈન, કેનેડાસ બેસ્ટ વેલ્યુ ઈન, નાઇટ્સ ઈન અને ગેસ્ટહાઉસ એક્સટેન્ડ સ્ટેનો સમાવેશ થાય છે. છેલ્લી બ્રાન્ડ રીલોન્ચ અગાઉ તેના જૂના નામ ગેસ્ટહાઉસ ઇન્ટરનેશનલના નામે ઓળખાતી હતી.

સોનેસ્ટા દ્વારા એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે આરએલએચ કોર્પ. સાથેના વિલીનીકરણ પછી કૈથ પર્સ પણ આગામી સમયમાં કંપની સાથે એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે અને પ્રેસિડેન્ટ ઓફ ફ્રેન્ચાઇઝીસ એન્ડ ડેવલપમેન્ટ તરીકે જોડાશે. તેમણે હોસ્પિટાલિટી ઇન્વેસ્ટમેન્ટ અને મેનેજમેન્ટ ક્ષેત્રે અડવાઇઝરી ફર્મ પેસિઓનાલિટી ગ્રુપ સાથે લાંબા સમય સુધી કામગીરી કરી છે.

કોસમાડા એલએલસીનાં વાઇસ પ્રેસિડેન્ટ અને ટેક્સાસમાં કોર્પસ ક્રિસ્ટીસ્થિત નાઇટ્સ ઇનનાં માલિક નેન્સી પટેલ આરએલએચ કોર્પ. અને સોનેસ્ટા વચ્ચેના વિલીનીકરણની જાહેરાત દરમિયાન વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિત રહ્યાં હતાં. આવનારા સમયમાં તેઓ નાઇટ્સ ઇન બ્રાન્ડ એડવાઇઝરી કાઉન્સીલનાં પ્રમુખની જવાબદારી સંભાળશે. આ સમાચાર આંચકાજનક છે પરંતુ ખરેખર તે નવાઇ પમાડે તેવા નથી.

તેમણે આ બાબતે જણાવ્યું હતું કે કોવિડ-19 મહામારીની ગંભીર અસર હોસ્પિટાલિટી ક્ષેત્રને થઇ છે ત્યારે આપણે સહુએ ઝડપથી આવનારા સમયમાં થનારા બદલાવને અનુકૂળ થવાની તૈયારી રાખવાની જરૂર છે. તેમણે ઉમેર્યું હતું કે મને આશા છે કે આરએલએચ કોર્પ. સોનેસ્ટા સાથેના વિલીનીકરણ પછી પણ આ ક્ષેત્રે સારો દેખાવ કરશે. આ મહામારી સમયે પણ મજબૂત દેખાવ કરી શકશે તેમાં કોઇ શંકા નથી.

આશાવાદી હોવું જરૂરી છે અને તેને કારણે શ્રેષ્ઠ થશે અને આપણે સહુ આશા રાખીએ કે એક માલિક તરીકે મને આશા છે કે આવનારા સમયમાં આ બદલાવ સારું પરિણામ લાવી શકશે એમ જણાવી તેમણે આ સોદા અંગે આશાવાદ વ્યક્ત કર્યો હતો.